ગુજરાત પર ‘વાયુ’ પછી ‘મહા’વાવાઝોડાની આફત, 5 અને 7 નવેમ્બરે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે

5 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • વેરાવળ અને કોડિનારની વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ત્રાટકશે
  • ભારે પવન સાથે દરિયાકાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગ

અમદાવાદ: ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’ વાવાઝોડાની આફત આગામી 5 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે.

રાજ્યમાં બેથી ત્રણ દિવસ ભારે વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે. 6થી 7 નવેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. 5 તારીખે સવારે 60થી 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 7 તારીખે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિકલાકે ઝડપ પવન ફૂંકાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

સદ્નસીબે વાયુ ઓમાન તરફ ફંટાયુ હતું
ઉલ્લેખનીય છે કે, ગત 10મી જૂને હવામાન વિભાગે 13મી જૂને વાયુ વાવાઝોડું આવશે તેવી આગાહી કરી હતી. જેમાં અંદાજે 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી, જ્યારે ‘મહા’ વાવાઝોડામાં 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નોંધનીય છે કે, વાયુ વાવાઝોડાની અસર છેક મધ્ય ગુજરાત સુધી થઈ હતી. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સૌથી વધારે અસર જોવા મળી હતી. પોરબંદર સહિતના દરિયાકિનારે 9 નંબરના ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારે NDRF, SDRF અને મિલિટ્રીના જવાનોને તહેનાત કર્યા હતા. મહત્વનું છે કે, છેલ્લી ઘડીએ વાવાઝોડાએ દિશા બદલી હતી અને ઓમાન તરફ ફંટાયું હતું. જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.